Current Affairs Gujarati 19 August 2025
| Best for UPSC/GPSC
Current Affairs Gujarati 19 August 2025
| Best for UPSC/GPSC
Today’s
for UPSC,GPSC and other competitive exams. All news updates are explained in Gujarati for easy preparation.Current Affairs Gujarati 19 August 2025

રાષ્ટ્રીય કરંટ અફેર્સ | Current Affairs Gujarati 19 August 2025
ભારતના નવમા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માની જન્મજયંતી : 19 ઓગસ્ટ | GPSC current affairs
જન્મ : 19 ઓગસ્ટ 1918
મૃત્યુ : 26 ડિસેમ્બર 1999
શંકર દયાલ શર્માનો જન્મ ભોપાલ, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમનો પ્રારંભિક અભ્યાસ ભોપાલની સરકારી કુમાર શાળામાં થયો હતો. વધુ અભ્યાસ માટે તેઓ સેન્ટ જ્હોન કોલેજ (અલ્હાબાદ વિશ્વવિદ્યાલય), આગ્રા કોલેજ, પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) તથા લખનઉ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ લખનઉ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક રહ્યા હતા.
1952માં તેઓ ભોપાલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને તે સમયના સૌથી યુવા મુખ્ય મંત્રી હતા.
1972માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1974થી 1977 સુધી તત્કાલીન સરકારમાં સંચાર મંત્રી તરીકે કાર્યરત રહ્યા. 1971 તથા 1980માં તેમણે લોકસભામાં ભોપાલ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્ત્વ સંભાળ્યું. 1984માં તેઓ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બન્યા.
1985માં તેઓ આંધ્ર પ્રદેશ છોડી પંજાબના રાજ્યપાલ પદે નિયુક્ત થયા. 1986માં તેઓએ મહારાષ્ટ્રમાં પોતાનું અંતિમ રાજ્યપાલ પદ સંભાળ્યું. 1987માં તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા.
1992માં તેઓ ભારતના નવમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
આંતરરાષ્ટ્રીય બાર એસોશિયેશને શર્માને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાયદાના વ્યવસાયમાં ઉત્કૃષ્ઠ યોગદાન બદલ તથા કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધતા બદલ લિવિંગ લિજેન્ડ ઓફ લો ઍવોર્ડ ઓફ રેકગ્નિશનથી સન્માનિત કર્યા હતા.
26 ઓક્ટોબર 1999ના રોજ હૃદયરોગના હુમલાને કારણે નવી દિલ્હી ખાતે તેમનું અવસાન થયું હતું. રાજઘાટ સમાધિ પરિસરમાં કર્મભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પોર્ટલ લાઇવ થયું | GPSC current affairs
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 12મા સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેર કરેલી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ નોંધણીની સુવિધા આપતું પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પોર્ટલ લાઇવ થઈ ગયું છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઈ 2025ના રોજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના નામની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી હતી. આ યોજનાનો ઉદ્દેશ બે વર્ષના સમયગાળામાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન, રોજગારક્ષમતા અને સામાજિક સુરક્ષા વધારવાનો છે. આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ, 2027 વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.
આ યોજના નવા રોજગાર મેળવનારા યુવાનોને બે હપ્તામાં ₹15000 સુધીનું પ્રોત્સાહન અને નવી નોકરીની તકો ઉભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ 3000 સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે.
યોજનાના ભાગ A હેઠળ પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓને તમામ ચુકવણીઓ આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ (ABPS)નો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા કરવામાં આવશે. ભાગ B હેઠળ નોકરીદાતાઓને ચૂકવણી સીધી તેમના PAN-લિંક્ડ ખાતાઓમાં કરવામાં આવશે.
બધા પ્રથમ વખત અરજી કરનારાઓએ ઉમંગ એપ પર ઉપલબ્ધ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જનરેટ કરવાનો રહેશે.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર આ યોજનાનો અમલ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કરવામાં આવશે, જે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ 1952 હેઠળ એક વૈધાનિક સંસ્થા છે.
પ્રથમ બહુ-રાજ્ય ‘સુરક્ષા ચક્ર’ કવાયત | GPSC current affairs
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે દિલ્હી અને NCRમાં 55 સ્થળોએ બહુ-રાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રીલ ‘સુરક્ષા ચક્ર કસરત’નું આયોજન કર્યું છે.
દિલ્હી ઉપરાંત, ઉત્તર પ્રદેશના બે જિલ્લાઓ – નોઈડા અને ગાઝિયાબાદ – અને પડોશી હરિયાણાના પાંચ જિલ્લાઓ – ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ, નૂહ અને રેવાડી – આ મોક ડ્રીલનો ભાગ હતા.
આ કવાયતનું આયોજન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (DDMA), સેનાના પશ્ચિમી કમાન્ડ અને દિલ્હી ક્ષેત્ર મુખ્યાલય, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), પોલીસ, નાગરિક સંરક્ષણ, અગ્નિશામક સેવાઓ, આરોગ્ય અને પરિવહન વિભાગો તેમજ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના આપત્તિ વ્યવસ્થાપન સંગઠનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
આસામ રાઇફલ્સે IIIT મણિપુર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા | UPSC current affairs in gujarati
આસામ રાઇફલ્સે IIIT મણિપુર સાથે મળીને સંરક્ષણ અને સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મંત્રીપુખરી ખાતે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
આ પહેલના ભાગ રૂપે આસામ રાઇફલ્સના કર્મચારીઓ માટે એક એડવાન્સ્ડ ડ્રોન ટ્રેનિંગ અને રિફ્રેશર કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન ફ્લાઇટ ઓપરેશન્સ, જાળવણી અને DGCA-પ્રમાણિત તાલીમનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સર્વેલન્સ, રિકોનિસન્સ અને લોજિસ્ટિક્સ સપોર્ટ ક્ષમતાઓને મજબૂત બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.24 અને 25ના ગુજરાતની મુલાકાતે | UPSC current affairs in gujarati
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.24 અને 25ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ બે દિવસના રોકાણ દરમ્યાન તેમના વતન શહેર વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે.
શ્રી મોદી વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને ખુલ્લુ મુકશે. લાંબા સમયથી આ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત બેચરાજીમાં શ્રી મોદી દેશની ટોચની ઓટો કંપની મારૂતી સુઝુકીના દેશના પ્રથમ ઈ-વ્હીકલ પ્લાન્ટને પણ ખુલ્લો મુકશે.
આમ ગુજરાતમાં ટાટા કંપની બાદ હવે મારૂતી સુઝુકીના ઈ-વાહનો પણ ગુજરાતમાં ઉત્પાદીત થશે. સુઝુકીએ આ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના કાર્યકાળ દરમ્યાન જ તેમને તેઓએ રાજયને ઓટો કંપનીનું હબ બનાવવા જે રીતે ટાટા ગ્રુપના નેનો પ્રોજેકટને રાજયમાં આમંત્રણ આપ્યું હતું.
તે પછી એક બાદ એક આંતરરાષ્ટ્રીય ઓટો કંપનીઓ ગુજરાતમાં આવી છે અને સાણંદ અને તેની આસપાસ અનેક પ્લાન્ટ સ્થાપિત કર્યા છે જેમાં હવે એક વધુનો ઉમેરો થશે.
અમદાવાદ શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં | GPSC current affairs
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હવે અમદાવાદ શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષાના કારણોસર શહેરના 201 જેટલા સંવેદનશીલ સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું 18 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને 16 ઓક્ટોબર 2025ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલી રહેશે, અને જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનું ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મંથલી ક્રાઈમ કોન્ફરન્સ એકતાનગરમાં યોજાશે | GPSC current affairs
રાજ્યનાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં 19 ઓગસ્ટના રોજ એકતાનગર કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે.
આ મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’મા રાજ્યનાં નવ રેન્જ આઈજી, ચાર શહેરોના પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગનાં જુલાઈ માસ તેમજ જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ માસની કામકાજની વિસ્તૃત સમીક્ષા કરશે અને જરૂરી સૂચનો પણ કરશે.
ક્રાઈમ કોન્ફરન્સમાં ડિજિટલ ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા, વગેરે સહિત પર પણ ચર્ચા કરાશે.
પ્રેસ રજિસ્ટ્રાર જનરલ દ્વારા અખબાર અને સામયિક નોંધણીને સરળ બનાવવા માટે ‘પ્રેસ સેવા’ પોર્ટલ શરૂ કરવામાં આવ્યો | UPSC current affairs in gujarati
પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (PRGI) યોગેશ બાવેજાએ જણાવ્યું છે કે પ્રેસ સેવા પોર્ટલ અખબારો અને સામયિકો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સિંગલ-વિન્ડો સોલ્યુશન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ પહેલ પારદર્શિતા વધારશે, મંજૂરીઓ ઝડપી બનાવશે અને પ્રકાશકો માટે વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરશે અને પ્રકાશકોને સામનો કરવો પડી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવશે.
આંતરરાષ્ટ્રીય સમાચારો કરંટ અફેર્સ | Current Affairs Gujarati 19 August 2025
વિશ્વ ફોટોગ્રાફી દિવસ : 19 ઓગસ્ટ | Gujarati current affairs
વિશ્વ ફોટોગ્રાફી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટના રોજ ઉજવાય છે. વર્ષ 1837માં ફ્રાંસમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. વિશ્વનો પ્રથમ કેમેરો કેમેરા ઓબ્સ્ક્યુરા હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાઉગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી.
પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસનું આયોજન 19 ઓગસ્ટ 2010ના રોજ કરવામાં આવ્યું હતું.
ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલાનો જન્મ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. હોમાય વ્યારાવાલાને 2010માં માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી લાઈફ એચિવમેન્ટ અને 2011માં ભારતનું બીજા નંબરનું નાગરિક સન્માન પદ્મવિભુષણ એનાયત થયો હતો.
વિશ્વ માનવતા દિવસ (World Humanitarian Day) | Gujarati current affairs
વિશ્વ માનવતાવાદી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટે ઉજવાય છે. આ દિવસે એવા લોકોને યાદ કરવામાં આવે છે જેમણે માનવતાવાદી કારણોસર અન્ય લોકોને મદદ કરવા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસને વિશ્વભરમાં માનવતાવાદી કાર્યને પ્રોત્સાહિત કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા ડી મેલો અને તેના 21 સાથી માનવતા ચિકિત્સકોના મૃત્યુને શ્રદ્ધાંજલી આપવા હેતુ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 19 ઓગસ્ટને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે જાહેર કર્યો છે.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2008માં વિશ્વ માનવતાવાદ દિવસની ઘોષણા કરવામાં આવી હતી અને વર્ષ 2009માં પ્રથમવાર તેની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
બેઇજિંગમાં ‘વર્લ્ડ હ્યુમનૉઇડ રોબોટ ગેમ્સ’નું આયોજન | UPSC current affairs in gujarati
ચીને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન તેની રાજધાની બેઇજિંગમાં ‘વર્લ્ડ હ્યુમનૉઇડ રોબોટ ગેમ્સ’નું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં દુનિયાભરના રોબોટએ અલગ-અલગ રમતોમાં ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં ઘણા પ્રકારની રમતો યોજાઈ હતી.
આ પ્રકારની આ પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં 16 દેશોની 280 ટીમએ ભાગ લીધો. આ ‘ઓલિમ્પિક’માં 500થી વધુ રોબોટ સામેલ થયા.
આ આંતરરાષ્ટ્રીય રોબોટ ઓલિમ્પિકમાં 100 મીટર, 400 મીટર અને 1500 મીટરની દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, જિમ્નેસ્ટિક્સ, ફૂટબોલ, વુશુ અને બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિશ્વ હ્યુમનૉઇડ ગેમ્સનો મુખ્ય ઉદ્દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સમાં થયેલી પ્રગતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે દુનિયાનો પહેલો AI ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો | UPSC current affairs in gujarati
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો છે. આ સિસ્ટમને જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સિસ્ટમની મદદથી એક સાથે વધુમાં વધુ દસ વ્યક્તિ પસાર થઈ શકશે અને તેમને ઊભા રહેવાની પણ જરૂર નહીં પડે. તેમ જ કોઈ પણ ડોક્યુમેન્ટ પણ નહીં દેખાડવા પડે.
રમતગમત અને સમાજ કરંટ અફેર્સ | Current Affairs Gujarati 19 August 2025
ભાવીના પટેલે યુએસએના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ઇતિહાસ રચ્યો | UPSC current affairs in gujarati
ભાવીના પટેલે અમેરિકાના વોશિંગ્ટનના સ્પોકેનમાં આયોજિત બે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન મેળવીને ભારત માટે ખૂબ જ ગૌરવ વધાર્યું છે.
9 થી 13 ઓગસ્ટ 2025 દરમિયાન ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં પટેલે શાનદાર પ્રદર્શન કર્યું મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
6 થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન સ્પોકેનમાં આયોજિત ITTF વર્લ્ડ પેરા ફ્યુચર ઇવેન્ટમાં, પટેલે આ જ શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
શ્રીમતી ભાવીના પટેલ હવે પેરા ટેબલ ટેનિસમાં ક્લાસ 1 થી 5 મહિલા શ્રેણીઓમાં મહિલા સિંગલ્સમાં વિશ્વ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયા છે.
👉 If you want to practice today’s Current Affairs Gujarati 19 August 2025, then click here
👉 If you want to read full Current Affairs Gujarati 18 August 2025, then click here
આવા જ દરરોજના કરંટ અફર્સ વાંચવા માટે અહીં , અહી ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]